આમ આદમી પાર્ટી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતે જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર લડશે. આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અરવિંદ કેજરીવાલે રવિવારે જ ટ્વીટ કરીને તેમની ગુજરાત મુલાકાત વિશે માહિતી આપી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વિસ્તરણના આશય સાથે સીએમ કેજરીવાલ મુલાકાત લઈ રહ્યા છે. કેજરીવાલે આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઇસુદાનભાઇ ગઢવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP માં જોડાયા હતા.
એક વર્ષમાં કેજરીવાલની આ બીજી ગુજરાત મુલાકાત છે. આ પહેલા ફેબ્રુઆરીમાં, કેજરીવાલ ગુજરાતના સુરત ગયા હતા, જ્યારે અહીં યોજાયેલી નાગરિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સામે એકમાત્ર સૌથી મોટો વિપક્ષી પાર્ટી બન્યો હતો.
આમઆદમી પાર્ટી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. પક્ષ રાજ્યમાં કોંગ્રેસનો વિકલ્પ બનવા માંગે છે. તેની પહેલી ચૂંટણીમાં જ, આમ આદમી પાર્ટીએ 120 સભ્યોની સુરત મહાનગર પાલિકામાંથી 27 પર વિજય મેળવ્યો હતો.
છેલ્લા 20 વર્ષથી ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી રહ્યું છે. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરી રહી છે.