IPL 2021માં, ખૂબ જ ખરાબ હાલતમાં ચાલી રહેલી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના મિડલ ઓર્ડર કેરેબિયન બેટ્સમેન શેરફેન રદરફોર્ડના પિતાનું નિધન થયું છે. આ પછી, હવે શેરફેન આઈપીએલને અધવચ્ચેથી છોડીને પોતાના ઘરે પરત ફરશે.
હૈદરાબાદની ટીમે આ કેરેબિયન બેટ્સમેનને આઈપીએલ 2021ના યુએઈ લીગ માટે જોની બેયરસ્ટોની જગ્યાએ તેમની ટીમમાં સામેલ કર્યો હતો. રદરફોર્ડ 23 વર્ષનો યુવાન બેટ્સમેન છે અને તે વેસ્ટ ઇન્ડીઝ ટીમ તરફથી રમે છે. તેને અત્યાર સુધી કેરેબિયન ટીમમાં માત્ર 6 ટી 20 મેચ રમવાની તક મળી છે.
તેની આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો તેણે વર્ષ 2019માં આઈપીએલમાં કુલ 7 મેચ રમી, પરંતુ 14.60 ની સરેરાશથી માત્ર 73 રન બનાવ્યા. આ સિઝનમાં, તેને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી.
આ સાથે જ આઇપીએલની 14મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની હાલત ઘણી ખરાબ છે. આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. કેન વિલિયમ્સનની કેપ્ટનશીપ હેઠળ આ ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે જેમાં તેણે માત્ર એક મેચ જીતી છે જ્યારે તેણે સાત મેચ હારી છે. આ ટીમ પાસે અત્યારે માત્ર 2 પોઈન્ટ છે અને આ ટીમ જીતવા માટે સખત મહેનત કરી રહી હોય તેવું લાગે છે.
તમને જણાવી દઈએ કે યુએઈ લેગની પ્રથમ મેચમાં બુધવારે હૈદરાબાદનો સામનો દુબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ રમતા 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા.
જવાબમાં દિલ્હીની ટીમે 17.5 ઓવરમાં 2 વિકેટે 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ હવે આગામી મેચ 25 સપ્ટેમ્બરે પંજાબ કિંગ્સ સામે રમવાની છે.